﻿નિર્ગ..
6.
પછી યહોવાહે મૂસાને કહ્યું, “હવે, તને જોવા મળશે કે હું ફારુનની શી હાલત કરું છું. મારા સામર્થ્યને કારણે ફારુન તેઓને જવા દેશે. અને મારા બળવાન હાથનાં પરાક્રમને કારણે તે ઇઝરાયલ લોકોને દેશમાંથી મુક્ત કરશે.” 
અને ઈશ્વરે મૂસાને કહ્યું, “હું યહોવાહ છું.” 
અને ‘સર્વસમર્થ ઈશ્વર’ એ નામે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને દર્શન આપ્યું હતું. ઈશ્વર, યહોવાહ એ મારા નામની જાણકારી તેઓને ન હતી. 
મેં તેઓની સાથે કરાર કર્યો હતો. તેઓ જે દેશમાં જઈને વસ્યા હતા તે કનાન દેશ તેઓને આપવાનું મેં વચન આપ્યું હતું. તેઓ ત્યાં રહેતા હતા, પણ તે તેઓનો પોતાનો પ્રદેશ ન હતો. 
મેં ઇઝરાયલી લોકોની રડારોળ સાંભળી છે. તેઓ મિસરમાં ગુલામ છે અને મેં મારો કરાર યાદ કર્યો છે. 
તેથી ઇઝરાયલીઓને કહે કે, ‘હું યહોવાહ છું.’ હું તેઓનું રક્ષણ કરીશ. મારા સામર્થ્ય વડે મિસરીઓની ગુલામીમાંથી તેઓને મુક્ત કરીશ. હું મિસરીઓને ભયંકર શિક્ષા કરીશ. 
“હું તેઓને મારા લોક તરીકે સ્વીકારીશ. ત્યારે તેઓને ખબર પડશે કે મિસરની ગુલામીમાંથી તેઓને મુક્ત કરનાર તેઓનો ઈશ્વર હું છું. 
હું યહોવાહ છું, મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને જે દેશ આપવાનો કરાર કર્યો છે, તે દેશમાં હું ઇઝરાયલ લોકોને લઈ જઈશ. વતન તરીકે એ દેશ તેઓને આપીશ અને વારસ બનાવીશ.” 
મૂસાએ ઈશ્વરની એ વાત ઇઝરાયલીઓને કહી. પણ તે વખતે તેઓ આકરી ગુલામીથી હતાશ થઈ ગયેલા તેથી તેઓએ ઈશ્વરની વાત કાને ધરી નહિ. 
ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, 
“તું જઈને મિસરના રાજા ફારુનને કહે કે, તે ઇઝરાયલીઓને તારા દેશમાંથી જવા દે.” 
પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, “ઇઝરાયલી લોકો જ મારું સાંભળતાં નથી; તો પછી ફારુન તો શાનો સાંભળે? વળી મને તો છટાપૂર્વક બોલતાં પણ આવડતું નથી.” 
પરંતુ યહોવાહે મૂસા અને હારુન સાથે વાતચીત કરી. તેઓને આજ્ઞા કરી કે, “તમે મિસરના રાજા ફારુન પાસે જાઓ. અને તેને તાકીદ આપો કે ઇઝરાયલી લોકોને મિસરમાંથી મુક્ત કરે.” 
ઇઝરાયલીઓના પિતૃઓનાં કુળોના આગેવાનો આ છે: ઇઝરાયલના જયેષ્ઠ રુબેનના ચાર પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસ્રોન અને કાર્મી. 
શિમયોનના પુત્રો; યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીથી જન્મેલો શાઉલ. 
લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી. લેવીનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું. 
ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ. 
કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ. કહાથનું આયુષ્ય એકસો તેત્રીસ વર્ષનું હતું. 
મરારીના પુત્રો: માહલી અને મુશી. આ બધા ઇઝરાયલના પુત્ર લેવીના વંશજો હતા. 
આમ્રામે પોતાની ફોઈ યોખેબેદ સાથે લગ્ન કર્યું. તેઓના કુટુંબમાં હારુન અને મૂસાના જન્મ થયા. આમ્રામનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું. 
યિસ્હારના પુત્રો: કોરાહ, નેફેગ અને ઝિખ્રી. 
ઉઝિયેલના પુત્રો: મીશાએલ, એલ્સાફાન અને સિથ્રી. 
હારુનનું લગ્ન આમ્મીનાદાબની પુત્રી અને નાહશોનની બહેન અલીશેબા સાથે થયું. તેઓના પુત્રો: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઈથામાર. 
કોરાહના પુત્રો: આસ્સીર, એલ્કાના અને અબિઆસાફ. 
હારુનના પુત્ર એલાઝારે પૂટીએલની પુત્રી સાથે લગ્ન કર્યું. તેઓનો પુત્ર: ફીનહાસ. તેઓ બધા લેવીના વંશજો હતા. 
આ રીતે હારુન અને મૂસા લેવી કુળના વંશજો હતા. તેઓની સાથે ઈશ્વરે વાત કરી હતી કે, “ઇઝરાયલીઓને તેઓનાં કુળોના સમૂહ પ્રમાણે મિસરમાંથી બહાર લઈ આવો.” 
એ જ હારુન અને મૂસાએ મિસરના રાજા ફારુન સાથે વાત કરીને તેને કહ્યું કે, “તે ઇઝરાયલી લોકોને મિસરની બહાર જવા દે.” 
ઈશ્વરે મિસર દેશમાં મૂસા સાથે વાત કરી તે દિવસે; 
તેમણે મૂસાને કહ્યું, “હું યહોવાહ છું, હું તને કહું છું, તે બધું જ તું મિસરના રાજા ફારુનને કહેજે.” 
અને મૂસાએ ઈશ્વરની સમક્ષ કહ્યું કે, “હું સ્પષ્ટ રીતે બોલી શકતો નથી તો પછી ફારુન મારી વાત કેવી રીતે સાંભળશે?” 
