﻿નિર્ગ..
7.
યહોવાહે મૂસાને કહ્યું, “જો, મેં તને ફારુનની આગળ ઈશ્વરને ઠેકાણે ઠરાવ્યો છે. તારો ભાઈ હારુન તારો પ્રબોધક થશે. 
હું તને જે આદેશ આપું છું તે બધા તું હારુનને જણાવજે. તારો ભાઈ હારુન એ વિગત ફારુનને જણાવશે કે ફારુન ઇઝરાયલી લોકોને મિસર દેશમાંથી જવા દે. 
પણ હું ફારુનને હઠાગ્રહી બનાવી દઈશ, જેથી તું જે કંઈ કહેશે, તેને તે માનશે નહિ. તેથી હું મિસર દેશમાં અનેક ચમત્કારો કરીશ. 
પણ ફારુન તમારું સાંભળશે નહિ, એટલે હું મિસર દેશ પર મારો હાથ ઉગામીશ, કઠોર શિક્ષા કરીશ. અને મારાં સૈન્યોને, મારી ઇઝરાયલી પ્રજાને, મિસરમાંથી બહાર લાવીશ. 
ત્યારે મિસરના લોકોને ખબર પડશે કે, “હું યહોવાહ છું, તેઓ જોતા રહેશે અને હું મારા લોકો ઇઝરાયલીઓને મુક્ત કરીશ.” 
મૂસાએ અને હારુને યહોવાહના આદેશોનું પાલન કર્યું. 
તેઓએ દરબારમાં ફારુનની સમક્ષ રજૂઆત કરી. ત્યારે મૂસાની ઉંમર એંસી વર્ષની અને હારુનની ઉંમર ત્યાસી વર્ષની હતી. 
યહોવાહે મૂસા અને હારુનને કહ્યું, 
“જ્યારે ફારુન તમને એવું કહે કે, તમારા પરાક્રમના પુરાવા માટે ‘કોઈ ચમત્કાર બતાવો.’ ત્યારે તું હારુનને કહેજે કે, ‘તારી લાકડી લઈને ફારુનની આગળ જમીન પર નાખી દે’ એ નાખશે ત્યારે લાકડી સાપ બની જશે.” 
પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ પોતાની લાકડી જમીન પર નાખી અને તે સાપ બની ગઈ. 
ત્યારે ફારુને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસરના જાદુગરોએ પણ મંત્રતંત્ર દ્વારા હારુનના જેવો જ ચમત્કાર કરી બતાવ્યો. 
તેઓએ પોતાની લાકડીઓ જમીન પર નાખી. એ લાકડીઓના સાપ બની ગઈ. પણ હારુનની લાકડી તેઓની લાકડીઓને ગળી ગઈ. 
તેમ છતાં ફારુને હઠાગ્રહ છોડ્યો નહિ. લોકોને જવા દેવાની ના પાડી. અને યહોવાહના કહ્યા મુજબ મૂસા અને હારુનની કહેલી વાત ફારુને લક્ષમાં લીધી નહિ. 
પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન હઠીલો થયો છે, એ મારા લોકોને જવા દેવાનો ઇનકાર કરે છે; 
જો ફારુન સવારે નીલ નદીના કિનારા પર આવશે. તું તેને મળવા ને ઘાટ પર ઊભો રહેજે, અને જે લાકડી સાપ થઈ ગઈ હતી, તે સાથે લઈને જજે. 
“ફારુન આવે ત્યારે કહેજે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે, મારા લોકોને મારું ભજન કરવા માટે અરણ્યમાં જવા દે; ‘જો અત્યાર સુધી તેં યહોવાહની વાત કાને ધરી નથી.” 
હવે યહોવાહ કહે છે કે, ‘હું યહોવાહ છું. એની તમને ખબર પડી જશે. હવે હું મારા હાથમાંની લાકડી નીલ નદીના પાણી પર પછાડીશ એટલે સમગ્ર પાણી રક્ત થઈ જશે. 
નીલ નદીની માછલીઓ મરી જશે. નદીમાંથી દુર્ગંધ ફેલાશે અને મિસરવાસીઓને માટે એનું પાણી પીવાલાયક પણ રહેશે નહિ.’” 
પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું હારુનને કહે કે, તારી લાકડી હાથમાં લઈને મિસરનાં તમામ જળાશયો, નદીઓ, નહેરો અને તળાવો પર તારો હાથ ફેરવ એટલે તેમાંનુ બધું જ પાણી રક્ત બની જશે. અને સમગ્ર મિસર દેશમાં લાકડાંનાં અને પથ્થરનાં બધાં વાસણોમાંના પાણીનું પણ રક્ત થઈ જશે.” 
તેથી મૂસા અને હારુને યહોવાહે આપેલી આજ્ઞાનું પાલન કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતાં લાકડી વડે નીલના પાણી પર પ્રહાર કર્યો. તેથી તેમાંનું બધું જ પાણી રક્ત થઈ ગયું. 
નદીમાંની બધી માછલીઓ મરી ગઈ. અને નદીમાંથી દુર્ગંધ પ્રસરવા લાગી. અને મિસરના લોકો માટે નીલ નદીનું પાણી પીવા લાયક રહ્યું નહિ. સમગ્ર મિસરમાંનું તમામ પાણી રક્ત થઈ ગયું. 
તો સામે પક્ષે મિસરના જાદુગરોએ પણ પોતાના તંત્રમંત્રથી તે પ્રમાણે કર્યું. ફારુને મૂસા અને હારુનની વાત કાને ન ધરી. યહોવાહના જણાવ્યા મુજબ ફારુન હઠીલો થઈ ગયો. 
તેણે કશું ગણકાર્યું નહિ. ફારુન પોતાના મહેલમાં ગયો. 
નીલ નદીનું પાણી મિસરવાસીઓથી પિવાય એવું રહ્યું ન હતું. તેથી તેઓએ નદીની આજુબાજુ કૂવાઓ ખોદ્યા અને વીરડા ગાળ્યા. 
યહોવાહે નીલ નદી પર પ્રહાર કર્યા પછી સાત દિવસ પસાર થઈ ગયા. 
