﻿પુન..
8.
આજે હું તમને જે સર્વ આજ્ઞાઓ જણાવું છું તે તમે કાળજી રાખીને તેને પાળો, જેથી તમે જીવતા રહો અને તમે વૃદ્ધિ પામો. અને જે દેશ આપવાના યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા તેનું વતન પ્રાપ્ત કરો. 
તમને નમ્ર બનાવવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માગો છો કે કેમ, એ જાણવા માટે તથા પારખું કરવા યહોવાહ તમારા ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી જે રસ્તે તમને ચલાવ્યાં તે તમે યાદ રાખો. 
અને યહોવાહે તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા. અને તમે નહોતા જાણતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માન્નાથી તમને પોષ્યા; એ માટે કે યહોવાહ તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા દરેક વચનોથી માણસ જીવે છે. 
આ ચાળીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયા નહિ અને તમારા પગ સૂજી ગયા નહિ. 
એટલે આ વાત તમે સમજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે છે તેમ યહોવાહ તમારા ઈશ્વર તમને શિક્ષા કરે છે. 
તેથી તમારે યહોવાહ તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી. 
કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને એક સમૃદ્વ દેશમાં લઈ જાય છે એટલે પાણીનાં વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચપ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણાં તથા જળનિધિઓવાળા દેશમાં; 
ઘઉં તથા જવ, દ્રાક્ષ, અંજીરીઓ તથા દાડમોનાં દેશમાં; જૈતૂન તેલ અને મધના દેશમાં. 
જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે. 
ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો અને યહોવાહ તમારા ઈશ્વરે જે સમૃદ્વ દેશ તમને આપ્યો છે તે માટે તમે યહોવાહની સ્તુતિ કરશો. 
સાવધ રહેજો રખેને તેમની આજ્ઞાઓ, કાનૂનો અને નિયમો જે આજે હું તને ફરમાવું છું તે ન પાળતાં તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ. 
રખેને તમે ખાઈને તૃપ્ત થાઓ અને સારાં ઘરો બાંધીને તેમાં રહો. 
અને જ્યારે તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનુંચાંદી વધી જાય અને તમારી માલમિલકત વધી જાય, 
ત્યારે રખેને તમારું મન ગર્વિષ્ઠ થાય અને તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ કે જે તમને મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા છે. 
જેણે તમને આગિયા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યાં. જેમણે તમારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું અને જે 
યહોવાહે અરણ્યમાં તમને માન્ના કે જે તમારા પિતૃઓએ કદી નહોતું જોયું તેનાથી તમારું પોષણ કર્યું, એ માટે યહોવાહ તમને નમ્ર કરે અને આખરે તમારું સારું કરવા માટે તે તમારી કસોટી કરે. 
રખેને તમે તમારા મનમાં વિચારો કે “મારી પોતાની શક્તિથી અને મારા હાથનાં સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે.” 
પણ તમે હંમેશા યહોવાહ તમારા ઈશ્વરનું સ્મરણ કરો કેમ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ આપનાર તો તે એકલા જ છે; એ માટે કે તેનો કરાર અને તેમણે તમારા પિતૃઓની આગળ જે સમ ખાધા તે તેઓ પૂર્ણ કરે. 
અને એમ થશે કે જો તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જઈને અન્ય દેવદેવીઓની તરફ વળશો અને તેઓની સેવા કરશો તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચે નાશ પામશો. 
જે પ્રજાઓનો યહોવાહ તમારી આગળથી નાશ કરે છે તેઓની જેમ તમે નાશ પામશો. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવાને ચાહ્યું નહિ. 
