﻿અયૂબ.
16.
ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે, 
“મેં એવી ઘણી વાતો સાંભળી છે; તમે સર્વ કંટાળો ઊપજે એવું આશ્વાસન આપનારા છો. 
શું તમારા નકામા શબ્દોનો અંત નથી? તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કરો છો. 
તમારી જેમ હું પણ બોલી શકું છું; જો તમારો આત્મા મારા આત્માની જગ્યાએ હોત, તો હું તમારી સામે ડાહી વાતો કરત, અને મેં તમારી સામે માથું હલાવ્યું હોત. 
અરે, મારા મુખથી હું તમને હિંમત આપી શક્યો હોત! મારા હોઠનો દિલાસો તમને આશ્વાસન આપત! 
જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી; અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે? 
પણ હવે, હે ઈશ્વર, તમે મારી શક્તિ લઈ લીધી છે; તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે. 
તમે મને કરમાવી નાખ્યો છે, તે જ મારી વિરુદ્ધ સાક્ષી છે; અને મારા શરીરની દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને સાક્ષી પૂરે છે. 
ઈશ્વરે તેમના કોપથી મને ચીરી નાખ્યો છે અને મને સતાવ્યો છે; તેમણે મારી સામે તેમના દાંત પીસ્યા છે. મારા દુશ્મનોએ પોતાની આંખો મારી સામે કરડી કરી છે. 
લોકોએ મારી વિરુદ્ધ પોતાનું મુખ પહોળું કર્યું છે. તેઓ મારા મોં પર તમાચો મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે. 
ઈશ્વર મને અધર્મીઓને સોંપી દે છે; અને મને દુર્જનોના હાથમાં ફેંકી દે છે. 
હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનથી પકડ્યો અને મારા ટુકડેટટુકડા કરી નાખ્યા. તેમણે મારા પર નિશાન તાકી રાખ્યું છે. 
તેમના ધનુર્ધારીઓએ મને ચારેબાજુથી ઘેરી લીધો છે; તે મારું હૃદય ફાડી નાખે છે અને તે દયા રાખતા નથી; તે મારું પિત્ત જમીન પર ઢોળે છે. 
તે વારંવાર મને કચડી નાખે છે; તે યોદ્ધાની જેમ મારા પર તૂટી પડે છે. 
મેં શોકના વસ્ત્રો પહેર્યા છે, અને મારું શિંગ ધૂળમાં રગદોળ્યું છે. 
રુદન કરીને મારું મોં લાલ થઈ ગયું છે. મારાં પોપચાં પર મોતની છાયા છવાયેલી છે. 
જો કે મારા હાથથી કંઈ અન્યાય થયો નથી, અને મારી પ્રાર્થના શુદ્ધ છે. 
હે પૃથ્વી, મારા લોહીને તું ઢાંકી દઈશ નહિ. મારા અવાજને તું દાટી દઈશ નહિ. 
જુઓ, હમણાં જ, મારો સાક્ષી આકાશમાં છે મારો શાહેદ ઉચ્ચસ્થાને છે. 
મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે, પણ મારી આંખ ઈશ્વર આગળ આંસુ રેડે છે. 
એ સારુ કે ઈશ્વર માણસનાં વાજબી હકને, તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે! 
કેમ કે થોડાં વર્ષો પૂરાં થશે, ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહિ તે માર્ગે હું જઈશ. 
