﻿યશા..
38.
તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. તેથી આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને કહ્યું: “યહોવાહ એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, તું જીવવાનો નથી.” 
ત્યારે હિઝકિયાએ પોતાનું મુખ દીવાલ તરફ ફેરવીને યહોવાહને પ્રાર્થના કરી. 
તેણે કહ્યું, “હે યહોવાહ, હું કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી સમક્ષ ચાલ્યો છું અને તમારી દૃષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે,” અને પછી હિઝકિયા બહુ રડ્યો. 
પછી યશાયાની પાસે યહોવાહનું આ વચન આવ્યું કે, 
“જઈને મારા લોકના આગેવાન હિઝકિયાને કહે, “તારા પિતા દાઉદના ઈશ્વર યહોવાહ એમ કહે છે, ‘તારી પ્રાર્થના મેં સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. જુઓ, હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ. 
હું તને તથા આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ; અને હું આ નગરનું રક્ષણ કરીશ. 
અને યહોવાહે જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાહથી મળશે: 
જુઓ, આહાઝના સમયદર્શક યંત્રમાં જે છાંયડો દશ અંશ પર છે, તેને હું દશ અંશ પાછો હટાવીશ!” તેથી છાંયડો જે સમયદર્શક યંત્ર પર હતો તે દશ અંશ પાછો હટ્યો. 
યહૂદિયાનો રાજા હિઝકિયા માંદગીમાંથી સાજો થયો ત્યારે તેણે જે પ્રાર્થના લખી હતી તે આ છે: 
મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં હું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીના વર્ષોં મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે. 
મેં કહ્યું, હું કદી યહોવાહને જોઈશ નહિ, જીવતાઓની ભૂમિમાં હું યહોવાહને જોઈશ નહિ; હું ફરી કદી મનુષ્યને તથા સંસારના રહેવાસીઓને નિહાળીશ નહિ. 
મારું નિવાસસ્થાન ભરવાડોના તંબુની જેમ ઉખેડી અને દૂર કરવામાં આવ્યું છે. વણકરની જેમ મારું જીવન સમેટી લીધું છે; મને તાકામાંથી કાપી નાખવામાં આવ્યો છે. રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો. 
સવાર સુધી મેં વિલાપ કર્યો; સિંહની જેમ તે મારાં હાડકાં ભાંગી નાખે છે; રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો. 
અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું, મારી આંખો ઉચ્ચસ્થાન તરફ જોઈ રહેવાથી નબળી થઈ છે. હે પ્રભુ, હું પીડા પામી રહ્યો છું, મને મદદ કરો. 
હું શું બોલું? તેઓએ મારી સાથે વાત કરી છે અને તેઓએ જ તે કર્યું છે; મારા જીવની વેદનાને લીધે હું મારી આખી જિંદગી સુધી ધીમે ધીમે ચાલીશ. 
હે પ્રભુ, તમે મોકલેલું દુઃખ મારા માટે સારું છે; મારું જીવન મને પાછું મળે તો સારું; તમે મને સાજો કર્યો છે અને જીવતો રાખ્યો છે. 
આવા શોકનો અનુભવ કરવો તે મારા લાભને માટે હતું. તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે; કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે. 
કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ; જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ. 
જીવિત વ્યક્તિ, હા, જીવિત વ્યક્તિ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે. પિતા પોતાનાં સંતાનોને તમારી વિશ્વસનીયતા જાહેર કરશે. 
યહોવાહ મારો ઉદ્ધાર કરવાના છે અને અમે અમારી આખી જિંદગી સુધી યહોવાહના ઘરમાં વાજિંત્રો વગાડીને ઉજવણી કરીશું.” 
હવે યશાયાએ કહ્યું હતું, “અંજીરમાંથી થોડો ભાગ લઈને ગૂમડા પર બાંધો, એટલે તે સાજો થશે.” 
વળી હિઝકિયાએ કહ્યું હતું, “હું યહોવાહના ઘરમાં જઈશ એનું શું ચિહ્ન થશે?” 
