﻿લૂક.
17.
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, લોકો પાપ કરે એવી પ્રસંગ તો બનવાના જ, પણ જેનાંથી પાપ થાય છે તેને અફસોસ છે! 
કોઈ આ નાનાઓમાંના એકને પાપ કરવા પ્રેરે, એ કરતાં તેના ગળે ઘંટી નો પથ્થર બાંધીને તેને સમુદ્રમાં ડુબાડવામાં આવે, તે તેને માટે વધારે સારુ છે. 
સાવચેત રહો; જો તમારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો આપો; અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કરો. 
જો તે એક દિવસમાં સાત વાર અપરાધ કરે, અને સાત વાર તમારી તરફ ફરીને કહે કે, હું પસ્તાઉં છું, તો તેને માફ કરો. 
પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે, ‘અમારો વિશ્વાસ વધારો.’” 
પ્રભુએ કહ્યું કે, ‘જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ ગુલ્લર ઝાડને કહો કે અહીંથી ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા તો તે તમારું માનશે. 
પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેતર ખેડતો હોય અથવા ઘેટાં ચરાવતો હોય, અને તે ચાકર જયારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે કે, આવીને તરત જમવા બેસ? 
તે કરતાં, શું તે એમ નહિ કહેશે કે, મારું ભોજન તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને તું પછી ખાજે પીજે? 
તે દાસે તેની આજ્ઞાઓ પાળી હોય તે માટે તે તેનો આભાર માને છે શું? 
તેમ જે આજ્ઞા તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, અમે નકામા ચાકરો છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી એટલું જ અમે કર્યું છે.’” 
એમ થયું કે યરુશાલેમ જતા ઈસુ સમરુન તથા ગાલીલમાં થઈને જતા હતા. 
એક ગામમાં ઈસુએ પ્રવેશ કર્યો, એટલામાં રક્તપિત્તી દસ દર્દીઓ તેમને સામે મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને 
બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.’” 
અને તેઓને જોઈને તેમણે તેઓને કહ્યું કે, ‘જાઓ, પોતાને યાજકોને બતાવો અને એમ થયું કે તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા. 
તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટા અવાજે ઈશ્વરનો મહિમા કરતાં પાછો વળ્યો. 
તેણે ઈસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો. 
ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘શું દસે જણને શુદ્ધ કરાયા નહોતા? તો બીજા નવ ક્યાં છે? 
ઈશ્વરને મહિમા આપવાને પાછો આવે, એવો આ પરદેશી વિના અન્ય કોઈ નથી શું? 
ઈસુએ કહ્યું કે, ‘તું ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.’” 
ફરોશીઓએ તેમને પૂછ્યું કે, ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેમણે તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ઈશ્વરનું રાજ્ય દૃશ્ય રીતે નથી આવતું. 
વળી એમ નહિ કહેવામાં આવશે કે, જુઓ, આ રહ્યું! કે, પેલું રહ્યું! કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.’” 
તેમણે શિષ્યોને કહ્યું કે, ‘એવા દિવસો આવશે કે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવાની ઇચ્છા રાખશો, પણ તમે જોઈ શકશો નહિ. 
તેઓ તમને કહેશે હે ‘જુઓ, પેલો રહ્યો, જુઓ, આ રહ્યો, તમે જતા ના, અને એમની પાછળ ચાલતા ના. 
કેમ કે વીજળી આકાશમાં ચમકે છે ને તે એક દિશાથી બીજી દિશા સુધી પ્રકાશે છે, તેમ માણસના દીકરાનું તેમના સમયમાં આગમન થશે. 
પણ તે પહેલાં તેમને ઘણું સહન કરવું પડશે, અને આ પેઢીથી તેમને નાપસંદ થવું પડશે. 
અને જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. 
નૂહ વહાણમાં ગયો, અને જળપ્રલયે આવીને બધાનો વિનાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા. 
તેમ જ લોતના દિવસોમાં પણ થયું, તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા; 
પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક સ્વર્ગમાંથી વરસ્યાં, અને તેથી બધાનો વિનાશ થયો. 
જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે. 
તે દિવસે જેઓ ઘરની અગાશી પર હોય, તેઓએ સામાન લેવા સારુ નીચે ઊતરવું નહિ, અને જે ખેતરમાં હોય તેણે પણ ત્યાંથી પાછા આવવું નહિ. 
લોતની પત્નીને યાદ કરો. 
કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ તેને ગુમાવશે, તે તેને બચાવશે. 
હું તમને કહું છું કે, તે રાત્રે એક પથારીમાં બે જણ સૂતા હશે; તેઓમાંના એકને લઈ લેવાશે અને બીજાને પડતો મુકાશે. 
બે સ્ત્રીઓ સાથે દળતી હશે; તેમાંથી એકને લઈ લેવાશે, અને બીજીને પડતી મૂકવામાં આવશે. 
ખેતરમાં બે જણ હશે, તેઓમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે,’ 
અને તેઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, ‘પ્રભુ, ક્યાં?’ અને ઈસુએ તેઓને કહ્યું કે, ‘જ્યાં મૃતદેહ પડ્યો હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે.’” 
